ગૃહમંત્રી મેયર પર ગુસ્સે થયા:તિરંગાયાત્રાની ભીડમાં ધક્કો વાગતાં હર્ષ સંઘવીએ વડોદરાના મેયરને કહ્યું: તું એક ફૂટ દૂર રહે ભાઈ; CM પણ જોતા રહી ગયા
- Published By : Jago News
- Updated on : 2022-08-10 17:24:48
વડોદરા શહેરમાં સોમવારે યોજાયેલી તિરંગાયાત્રામાં રાજ્યના ગૃહમંત્રી મેયર પર
ગુસ્સે થયા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. એમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના
મેયર કેયૂર રોકડિયાને કહ્યું હતું કે દૂર ઊભા રહો ભાઈ. સોશિયલ મીડિયામાં વાઇરલ
થયેલા વીડિયો પર લોકોએ ઘણી પ્રતિક્રિયાઓ આપી હતી. વડોદરા શહેરમાં તિરંગાયાત્રામાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહમંત્રીનો ગુસ્સો જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા
આ દરમિયાન ભીડમાં ટોળાને કારણે મેયરનો ધક્કો
ગૃહમંત્રીને અને તેમનો ધક્કો મુખ્યમંત્રીને વાગ્યો હતો. જેથી ગૃહમંત્રી હર્ષ
સંઘવીએ મેયર કેયૂર રોકડિયા પર ગુસ્સે ભરાઈ કહ્યું, દૂર ઊભા રહો ભાઈ. આ સાંભળી મેયર કેયૂર રોકડિયા સહિતના હોદ્દેદારો સ્તબ્ધ થયા
હતા. જોકે મેયરે તાત્કાલિક બધાને દૂર ખસી જવા જણાવ્યું હતું,
જેનો વીડિયો વાઇરલ થતાં લોકોએ કોમેન્ટનો મારો ચલાવી
મીમ્સ પણ બનાવ્યા હતા.
અગાઉ પાટીલે મેયરને ટકોર કરી હતી
વડોદરાના મેયર કેયૂર રોકડિયા સતત વિવાદોમાં રહ્યા
છે. અગાઉ 10 મહિના પહેલાં ગ્લોબલ પાટીદાર
બિઝનેસ સમિટ-2022ના પ્રમોશનલ કાર્યક્રમમાં ભાજપ
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વડોદરાના મેયર કેયૂર રોકડિયાને રખડતાં ઢોરોના મુદ્દે
રોકડું પરખાવી દીધું હતું. સી.આર પાટીલે જણાવ્યું હતું કે કેયૂર હવે તમે મીટિંગો
બંધ કરો. મને તો તમને જ્યારે મેયર બનાવ્યા ત્યારે લાગતું હતું કે કેયૂર યુવાન છે
અને ઝડપથી કામ કરશે, પરંતુ આટલું ધીમું તો નહીં
ચાલે. બીજીવાર વડોદરાથી કોઈનો ફોન આવે કે ગાયો દેખાતી નથી અને ભિક્ષુક દેખાતા નથી
એવું વાતાવરણ બનાવજો, પરિણામ બતાવજો.
ઢોરમુક્ત શહેર કરવાની વાતો પોકળ સાબિત થઈ
આ ઉપરાંત મેયર કેયૂર રોકડિયાએ 15
દિવસમાં રસ્તા ઢોરમુક્ત કરવાની જાહેરાત કરી હતી. જોકે
તેમની જાહેરાત માત્ર પોકળ સાબિત થઈ હતી. હજી પણ વડોદરા શહેરમાં રખડતાં ઢોરોનો
ત્રાસ યથાવત્ છે અને છાસવારે લોકો રખડતાં ઢોરોના હુમલાનો ભોગ બને છે.