મેડલ ગંગામાં વહાવવા કુસ્તીબાજો હરિદ્વાર રવાના:કહ્યું- આ અમારો આત્મા, એના વિના જીવનનો અર્થ નથી, હવે ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ
- Published By : Jago News
- Updated on : 2023-05-30 18:41:55
પાણીપત: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ
બ્રિજભૂષણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો મંગળવારે સાંજે 6 વાગ્યે હરિદ્વારમાં
તેમના મેડલ ગંગામાં વહાવશે, કેમ કે તે માતા ગંગા છે. જેટલી ગંગા નદી પવિત્ર છે, તેટલી જ પવિત્રતાથી અમે
આ મેડલ પ્રાપ્ત કર્યા હતાં. આ મેડલ આખા દેશ માટે પવિત્ર છે અને તેને પવિત્ર
રાખવાની યોગ્ય જગ્યા માતા ગંગા જ હોઈ શકે છે. આ કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ
શરણ સિંહની ધરપકડ માટે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. રવિવારે પોલીસ
સાથેની અથડામણ બાદ તેઓ જંતર-મંતરથી પરત ફર્યા હતા.
કુસ્તીબાજ સાક્ષી મલિકે
સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે મેડલ ગંગામાં વહાવી દીધા પછી તેઓ ઈન્ડિયા ગેટ
પર આમરણાંત ઉપવાસ કરશે. સાક્ષીએ લખ્યું- અમે પવિત્રતા સાથે આ મેડલ પ્રાપ્ત કર્યા
હતા. આ મેડલને પહેરાવીને તંત્ર માત્ર પોતાનો પ્રચાર કરે છે. પછી અમારું શોષણ કરે
છે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને આ મેડલ પાછા આપીશું નહીં, કેમ કે તેમણે અમારા
અંગે કોઈ કાળજી લીધી નથી.
આ દરમિયાન બ્રિજભૂષણ
શરણ સિંહે 5 જૂને અયોધ્યામાં મોટી સભા બોલાવી છે. જેમાં સંતો પણ ભાગ લેશે. બ્રિજભૂષણ અને
સંતોનું કહેવું છે કે POCSO એક્ટનો ફાયદો ઉઠાવીને એનો દુરુપયોગ થઈ રહ્યો છે.
સાક્ષી મલિકની પોસ્ટની 5 બાબતો
1. અમને ગુનેગાર બનાવી
દીધા, શોષણ કરનાર હસતાં રહ્યા. શું અમે મેડલ એટલાં માટે જીત્યા હતાં કે તંત્ર અમારી
સાથે ખરાબ વર્તન કરી શકે છે. અમને ઢસડ્યા અને પછી ગુનેગાર બનાવી દીધા.
2. મેડલ પરત કરવા અંગે
સવાલ આવ્યો કે કોને પાછા આપીશું?, રાષ્ટ્રપતિ અને PMને પાછા આપવા માટે મન
માન્યું નહીં. રાષ્ટ્રપતિએ કશું જ કીધું નહીં. વડાપ્રધાને અમને ઘરની દીકરીઓ ગણાવી
પરંતુ એકવાર પણ અમારી કાળજી લીધી નહીં.
3. આ મેડલ હવે અમને જોઇતા
નથી કેમ કે તેને પહેરાવીને અમને મુખોડા બનાવીને તંત્ર માત્ર પોતાનો પ્રચાર અને પછી
અમારું શોષણ કરે છે. અમે તે શોષણ વિરુદ્ધ બોલ્યા ત્યારે અમને અરેસ્ટ કરવાની તૈયારી
કરી લીધી.
4. આ મેડલ આખા દેશ માટે જ
પવિત્ર છે અને પવિત્ર મેડલને રાખવાની યોગ્ય જગ્યા માતા ગંગા જ હોઈ શકે છે.
5. અપવિત્ર તંત્ર પોતાનું
કામ કરી રહ્યું છે અને અમે અમારું કામ કરી રહ્યા છીએ. હવે લોકોએ વિચારવું પડશે કે
પોતાની દીકરીઓ સાથે ઊભા છે કે પછી આ દીકરીઓનું શોષણ કરનાર તંત્ર સાથે?
કુસ્તીબાજોના મેડલ
શેડની જાહેરાત બાદ 3 મોટા નિવેદનો
1. સાંસદ દીપેન્દ્ર
હુડ્ડાએ કહ્યું- મેડલ વહાવશો નહીં, તે બ્રિજ ભૂષણની કૃપાથી
મળ્યા નથી
હરિયાણાના રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કુસ્તીબાજોના નિર્ણય પર કહ્યું-
હું આ ખેલાડીઓને અપીલ કરું છું જેમણે દેશને ગૌરવ અપાવ્યું છે, તેઓ પોતાના મેડલ
ગંગામાં ન વહાવે. તમને આ મેડલ ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની કૃપાથી મળ્યા નથી, પરંતુ તમની વર્ષોની
તપસ્યા અને ધ્યાનથી મળ્યા છે.
2. ટિકૈતે કહ્યું- મેડલ
દેશનું ગૌરવ છે, આવું પગલું ન ભરો
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું - આ મેડલ દેશ અને ત્રિરંગાનું ગૌરવ છે. અમે
તમામ કુસ્તીબાજોને વિનંતી કરીએ છીએ કે આવું પગલું ન ભરે. રાષ્ટ્રપતિ અને
વડાપ્રધાનને વિનંતી છે કે તેઓ કુસ્તીબાજો સાથે જલ્દી વાત કરે.
3. ગીતા ફોગાટે કહ્યું -
આંસુ વહી ગયા
દંગલ ગર્લ ગીતા ફોગાટે કહ્યું- દરેક ખેલાડીનું સપનું હોય છે કે તે પોતાના દેશ
માટે મેડલ જીતે અને વિદેશમાં પોતાના દેશનો તિરંગો લહેરાવે. આપણા કુસ્તીબાજો આજે એ
જ મેડલ ગંગામાં વહાવશે એ જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા.
દિલ્હી પોલીસ જંતર-મંતર
પર ધરણાં કરવા દેશે નહીં, 109 પર FIR
દિલ્હી પોલીસે કહ્યું હતું કે અમે 38 દિવસથી વિરોધપ્રદર્શન
કરી રહેલા કુસ્તીબાજોને તમામ સંભવ સુવિધાઓ આપી હતી, પરંતુ રવિવારે આ લોકોએ
કાયદો તોડ્યો હતો. જો કુસ્તીબાજો આગળ આ વખતે વિરોધ કરવા માટે પરવાનગી માગશે તો અમે
તેમને જંતર-મંતર નહીં, પણ બીજી જગ્યાએ મોકલીશું.
રવિવારે નવી સંસદની
સામે મહિલા મહાપંચાયત બોલાવવામાં આવી હતી. કુસ્તીબાજોએ ત્યાં જવા માટે કૂચ કરી અને
બેરિકેડ્સ પણ તોડી નાખ્યા. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. આ પછી વિનેશ
ફોગટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિત ઘણાં રેસલર્સની અટકાયત કરવામાં આવી હતી. જોકે બાદમાં તેમને
છોડી દેવામાં આવ્યાં હતાં. દિલ્હી પોલીસે કુસ્તીબાજો સહિત 109 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. હુલ્લડો
ફેલાવવા, સરકારી કામમાં અવરોધ જેવા આરોપો છે. આ કલમોમાં 7 વર્ષ સુધીની જેલની
જોગવાઈ છે.
ખાપો અને ખેડૂતોએ
જિંદમાં એક પંચાયત યોજીને જાહેરાત કરી કે તેઓ દિલ્હીમાં દૂધ, શાકભાજી, ફળો અને અન્ય સામાનનો
પુરવઠો બંધ કરશે. ખેડૂત આંદોલનની જેમ દિલ્હીને પણ ચારેબાજુથી ઘેરી લેવામાં આવશે.