પૂજા ખેડકર વિવાદ વચ્ચે UPSC અધ્યક્ષનું રાજીનામું:હજી 5 વર્ષનો કાર્યકાળ તો બાકી હતો
- Published By : Jago News
- Updated on : 2024-07-20 16:28:26
નવી દિલ્લી: યુનિયન પબ્લિક સર્વિસ
કમિશન (UPSC)ના પહેલા ગુજરાતી અધ્યક્ષ મનોજ સોનીએ તેમના કાર્યકાળનાં પાંચ વર્ષ પહેલાં જ
રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો.
તેમણે વ્યક્તિગત કારણસર રાજીનામું આપ્યું છે. મનોજ સોની 2017થી UPSC સભ્ય તરીકે સેવા આપ્યા
પછી 16 મે, 2023ના રોજ UPSC અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો, જેમનો કાર્યકાળ છ
વર્ષનો છે. તેમણે લગભગ એક મહિના પહેલાં રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપ્યું
હોવાના અહેવાલ છે. જોકે એ સ્વીકારવામાં આવશે કે નહીં એ સ્પષ્ટ નથી.
પૂજા ખેડકર વિવાદ બાદ UPSC ચર્ચામાં
UPSC પ્રોબેશનર IAS અધિકારી પૂજા ખેડકર સામેના આરોપો પછી ચર્ચામાં છે, જેણે સિવિલ સર્વિસમાં
પ્રવેશ મેળવવા માટે કથિત રીતે તેના દસ્તાવેજો બનાવટી બનાવ્યા હતા. જોકે મનોજ
સોનીના રાજીનામાને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બાબત સાથે કોઈ સંબંધ
નથી.
ગુજરાતની 2 યુનિવર્સિટીમાં 15 વર્ષ સુધી VC તરીકે કામ કર્યું
2017માં UPSC અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક પહેલાં સોનીએ ગુજરાતની બે યુનિવર્સિટીમાં વાઇસ-
ચાન્સેલર તરીકે ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. તેમને વડાપ્રધાન નરેન્દ્ર
મોદીના નજીકના માનવામાં આવે છે. 2005માં 40 વર્ષની વયે તેઓ વડોદરા
યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર તરીકે નિયુક્ત થયા. આ સાથે સોની દેશના સૌથી યુવા
વાઇસ-ચાન્સેલર બન્યા છે. આ પછી 2015 સુધી તેમણે ગુજરાત સરકારી યુનિવર્સિટી બાબાસાહેબ આંબેડકર
ઓપન યુનિવર્સિટી (BBOU)માં વાઈસ-ચાન્સેલર તરીકે 5 વર્ષની બે ટર્મ પૂર્ણ કરી છે. 2015 પછી સોની ગુજરાતના
આણંદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ મિશનમાં જોડાયા. 10 જાન્યુઆરી, 2020ના રોજ તેમણે નિષ્કામ
કર્મયોગીની દીક્ષા લીધી.