જાવેદ અખ્તરે કરેલા બદનક્ષી કેસમાં કંગના 4થી જુલાઈએ કોર્ટમાં હાજર થશે
- Published By : Jago News
- Updated on : 2022-06-28 11:49:41
મુંબઈ: ગીતકાર જાવેદ અખ્તરે
અભિનેત્રી કંગના રણૌત સામે કરેલા બદનક્ષી કેસમાં આખરે કંગના આગામી તા.ચોથી જુલાઈએ
કોર્ટમાં હાજર થવા માટે તૈયાર થઈ છે. અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં
ચાલી રહેલી કેસની સુનાવણી દરમિયાન કંગનાના વકીલે વ્યક્તિગત રીતે હાજર રહેવામાંથી
મુક્તિ માગી હતી. આ તબક્કે જાવેદ અખ્તરના
વકીલે કોર્ટને કહ્યું હતું કે કંગના અવારનવાર કોઈને કોઈ બહાને કોર્ટમાં હાજર
થવાનું ટાળે છે. આથી તેની સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ થવું જોઈએ.
જોકે, કંગનાના વકીલે આખરે
કહ્યું હતું કે આગામી તા. ચોથી જુલાઈએ કંગના કોર્ટમાં હાજર થશે. હવે તા.ચોથી
જુલાઈએ સાંજ ચાર વાગ્યે આ કેસની વધુ સુનાવણી થશે. અહેવાલો અનુસાર કંગનાએ
એવી માગણી પણ કરી છે કે પોતે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપે ત્યારે કોર્ટમાં કોઈ
મીડિયા હાજર ના હોવું જોઇએ.
2020માં અભિનેતા સુશાંત સિંહ
રાજપૂતના મોત બાદ કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે બોલીવૂડની સ્યુસાઈડ
ગેન્ગ પોતાના જેવા બહારથી આવેલા લોકોને આપઘાત કરવાની હદ સુધી મજબૂર કરી દે છે.
તેણે જાવેદ અખ્તર પણ આ સ્યુસાઈડ ગેન્ગનો ભાગ હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને પગલે
જાવેદ અખ્તરે કંગના સામે બદનક્ષીનો દાવો માંડ્યો છે.
કંગનાએ જાવેદ અખ્તર સામે
એક્સ્ટોર્શનનો પણ કેસ કર્યો છે. જોકે, કંગના ખુદ એકવાર બદનક્ષીના કેસમાં હાજર થઈ પોતાનું
નિવેદન નોંધાવે તે પછી જ કોર્ટ કંગનાએ કરેલા કેસની સુનાવણી હાથ ધરશે.