ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું અકસ્માતે મોત, હવે કોણ બનશે નવા ઉત્તરાધિકારી?
- Published By : Jago News
- Updated on : 2024-05-21 11:30:11
તેહરાન: ઈરાનના રાષ્ટ્રપતિ
ઈબ્રાહિમ રઇસીનુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. તેમના મોત બાદ ઇરાન, ભારત અને અમેરિકા સહિત
દુનિયાભરના લોકોની વચ્ચે હવે એક જ સવાલ થઇ રહ્યો છે કે તેમના મોત બાદ દેશની સત્તા
કોણ સંભાળશે. હકીકતમાં ઈરાનમાં રાષ્ટ્રપતિ બનવા માટે ચૂંટણી લડવી પડે છે. જોકે, 1979ની ઇસ્લામિક ક્રાંતિ
બાદ સત્તાની કમાન કોણ સંભાળશે તે અંગે મોટા ભાગે નિર્ણય સુપ્રીમ લીડર દ્વારા જ
કરવામાં આવે છે.
હાલમાં સુપ્રીમ લીડર
અલી ખોમૈની છે. તેઓ જેને સમર્થન આપે છે તે વ્યક્તિ જ સત્તામાં આવે છે. દેશમાં
રાજકીય સ્થિરતા માટે નેતાઓ, ધાર્મિક નેતાઓ અને સેના વચ્ચે સંવાદિતા હોવી ખૂબ જરૂરી હોય છે. આ કારણોસર એવી
આશંકા છે કે તેમના આકસ્મિક મોતના કારણે તેમની વચ્ચે સત્તાસંઘર્ષનો ભય છે. તેમના
અકાળે મોતથી ઈરાનના રાજકારણમાં એક વિશાળ શૂન્યાવકાશ સર્જાયો છે. અત્યાર સુધી તેમને
સર્વોચ્ચ નેતા ખોમૈનીના ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા. તેમની વિદાય બાદ ખોમૈનીના
પુત્ર મોજતબા અને લશ્કરી નેતાઓની ભૂમિકામાં વધારો થવાની ધારણા છે.
ભારતમાં તેલ અને ગેસના ભાવ વધવાની પ્રબળ સંભાવના
રઇસીના મોતથી પશ્ચિમ એશિયાના દેશો તેમજ ભારત અને અન્ય દેશોને માઠી અસર થશે.
તેલ અને ગેસમાં મોટા રોકાણકાર હોવાથી બજારમાં અસ્થિરતાની શક્યતા છે. સોમવારે મોતની
પુષ્ટિ થતાં જ તેલના ભાવમાં વધારો થયો હતો. ઈરાનના સ્ટોક એક્સચેન્જમાં ઘટાડાને
કારણે તેને બંધ કરવું પડ્યું હતું. ભારત ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં તેલ અને ગેસની
આયાત કરે છે. ભારતે આ મહિને ચાબહાર પોર્ટ સંબંધિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જો
ઈરાનમાં રાજકીય અસ્થિરતા સર્જાય તો તેની અસર તેના વિકાસને અવરોધી શકે છે. તેમના
મોતથી ક્ષેત્રીય સુરક્ષાને પણ અસર થઈ શકે છે.
રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું- રઇસી રશિયાના સૌથી સાચા મિત્ર
હતા, UAEના રાષ્ટ્રપતિએ સંવેદના વ્યક્ત કરી
રશિયાઃ પુટિને કહ્યું કે રઇસી રશિયાના સાચા મિત્ર હતા. તેમના કાર્યકાળ દરમિયાન
બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા હતા.ઈરાક: વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ
સુદાનીએ કહ્યું કે રઇસીના મોત પર ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમૈની પ્રત્યે અમારી
સંવેદના છે.પાકિસ્તાનઃ વડાપ્રધાન શરીફે 1 દિવસના શોકની જાહેરાત
કરી છે. પાકિસ્તાનમાં રઇસીના સન્માનમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે.UAE: રાષ્ટ્રપતિ નાહ્યાને
કહ્યું UAE આ મુશ્કેલ સમયમાં ઈરાનના લોકોની સાથે છે. તેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે
સંવેદના વ્યક્ત કરી હતી.ચીન: રાષ્ટ્રપતિ જિનપિંગ-રાઈસીએ સુરક્ષા, સ્થિરતા માટે પગલાં
લીધાં હતાં.
ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મુખ્બેર કમાન સંભાળશે
ઉપપ્રમુખ મોહમ્મદ મુખબેર (68)ને વચગાળાના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. સુપ્રીમ
લીડર ખોમૈનીએ સોમવારે આની જાહેરાત કરી છે. ઇબ્રાહિમ રઇસીએ પદ સંભાળ્યા બાદ 2021માં મુખ્બેર
ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ રઇસીના ખૂબ જ નજીકના
માનવામાં આવે છે.