હર્ષ સંઘવીએ કહ્યું-વિહિપ મોહનથાળનું આંદોલન બંધ કરે:વિશ્વ હિન્દુ પરિષદે સ્પષ્ટ સંભળાવી દીઘું - હર્ષભાઈ... તમે જૈન છો, મહુડીમાં સુખડી બદલી બતાવો
- Published By : Jago News
- Updated on : 2023-03-14 18:44:16
અમદાવાદ: અંબાજી મંદિરમાં ચોથી
માર્ચથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે. સરકારના આદેશથી બંધ થયેલા
પ્રસાદથી શ્રદ્ધાળુઓની આસ્થાને ભારે ઠેસ પહોંચી છે. મોહનથાળના પ્રસાદને જ કાયમ
રાખવા રાજ્યમાં વિવિધ સ્થળો ઉપર આંદોલનો શરૂ થયાં છે. વિશ્વ હિંદુ પરિષદે પણ
આંદોલનમાં આક્રમકતાથી ઝંપલાવ્યું છે ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આંદોલનને આગળ
નહીં વધારવા વીએચપીના આગેવાનો ઉપર દબાણ શરૂ કર્યું છે.
જોકે વીએચપીના ક્ષેત્રીય
મંત્રી અશોક રાવલે વળતો જવાબ આપતાં ગૃહમંત્રી સંઘવીને કહ્યું હતું કે તમે જૈન છો
તો પહેલાં મહુડીનો પારંપરિક સુખડીનો પ્રસાદ બદલો. તેમણે પ્રસાદ મુદ્દે આંદોલન ચાલુ
જ રહેશે તેમ સ્પષ્ટ સંભળાવી દીધું હતું. સંઘવીએ બાદમાં કહ્યું હતું કે તેઓ વીએચપી
સાથે વાત કર્યા બાદ પ્રતિભાવ આપશે.
હર્ષ સંઘવીએ વીએચપીને
આંદોલન નહીં કરવા કહ્યું
રવિવારે વીએચપીના આગેવાનો અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના હોદ્દેદારો સાથે
કાર્યક્રમમાં મુલાકાત થઈ હતી. કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ વીએચપીને આંદોલન નહીં કરવા
કહ્યું હતું. જેના કારણે વિએચપી સહિતનાં હિન્દુ સંગઠનો સરકારની સામે આવી ગયાં છે.
વીએચપીના ક્ષેત્રીય મંત્રી અશોક રાવલે જણાવ્યું કે, પ્રસાદ મુદ્દે સરકાર
પાસે કોઈ સ્પષ્ટતા જ નથી. તેમના જવાબદાર મંત્રી જાહેરમાં આવીને નિવેદન કરે છે કે, મોહનથાળ તો કોઈ
સંજોગોમાં ફરી શરૂ થશે નહીં. આ નિવેદન બિલકુલ અયોગ્ય છે. ગૃહમંત્રીએ આંદોલન
અટકાવવા કહ્યું છે, પણ વીએચપીને સરકાર અથવા તેમના એકેય મંત્રી ઉપર ભરોસો નથી તેમ સ્પષ્ટ જણાવી
દીધું છે.
ભક્તો નિઃશુલ્ક મોહનથાળ
બનાવી પ્રસાદ આપશે
મા અંબાના ચરણે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો આવી દર્શન કરતા હોય છે.
મા જગતજનની અંબાના મંદિરમાં પરંપરાગત વર્ષોથી ચાલતો આવતો શુદ્ધ ઘીમાં બનેલો
મોહનથાળના પ્રસાદને બંધ કરાતા સમગ્ર દેશ દુનિયામાં ભક્તોમાં નારાજગી જોવા મળી રહી
છે. ત્યારે કેટલાય દિવસથી અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ થતા ભક્તોએ સ્વૈચ્છિક રોજ 200 કિલો મોહનથાળ બનાવી નિ:શુલ્ક
ભક્તોને આપવાનો નિર્ણય કર્યો છે.