અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી પોમ્પિયોનો ઘટસ્ફોટ:બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાન પરમાણુ હુમલાની તૈયારીમાં હતું; સુષ્મા સ્વરાજે આ વાત કરી હતી
- Published By : Jago News
- Updated on : 2023-01-25 18:47:15
14 ફેબ્રુઆરી 2019ના રોજ બાલાકોટમાં
ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલાની તૈયારી કરી
રહ્યું હતું. અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ પોતાના એક પુસ્તકમાં આ
દાવો કર્યો છે. આમાં તેણે તત્કાલીન ભારતીય મંત્રી સુષ્મા સ્વરાજને ટાંકીને આ વાત
લખી છે.
માઈક પોમ્પિયોએ તેમના
પુસ્તકમાં જણાવ્યું કે 27-28 ફેબ્રુઆરી 2019ના રોજ યુએસ-નોર્થ કોરિયા સમિટ દરમિયાન તેમણે ભારતનાં તત્કાલીન વિદેશ મંત્રી
સુષ્મા સ્વરાજ સાથે વાતચીત કરી હતી. ત્યારે સુષ્મા સ્વરાજે તેમને કહ્યું કે
પાકિસ્તાનીઓએ હુમલા માટે તેમનાં પરમાણુ હથિયારો તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.
ભારત પણ તૈયારી કરી રહ્યું હતું.
ભારત-પાકિસ્તાન એકબીજા
પર પરમાણુ હુમલાની તૈયારીમાં હતા
માઈકે પોતાના પુસ્તકમાં લખ્યું છે - મને નથી લાગતું કે વિશ્વને એ પણ ખબર હશે
કે ભારત-પાકિસ્તાન યુદ્ધ ફેબ્રુઆરી 2019માં પરમાણુ હુમલાની
કેટલી નજીક આવી ગયું હતું. સત્ય એ છે કે મને પણ આનો સાચો જવાબ ખબર નથી. પરંતુ હું
એટલું જાણું છું કે બંને દેશો પરમાણુ હુમલાની ખૂબ નજીક હતા.
વિયેતનામમાં થઈ હતી
ભારત-USની વાતચીત
ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ બાલાકોટ એરસ્ટ્રાઈક કરી હતી. પોમ્પિયોએ પુસ્તકમાં જણાવ્યું છે કે
તેઓ 27-28 ફેબ્રુઆરીના રોજ યુએસ-ઉત્તર કોરિયા સમિટ માટે વિયેતનામના હનોઈમાં હતા. તેમની
ટીમે આ મુદ્દે ભારત અને પાકિસ્તાન સાથે વાત કરી હતી. પુલવામા આતંકવાદી હુમલામાં
માર્યા ગયેલા 40 સીઆરપીએફ જવાનોનો બદલો લેવા માટે ભારતના ફાઇટર જેટ્સે બાલાકોટમાં
જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ટ્રેનિંગ કેમ્પોને નષ્ટ કરી દીધા હતા.
પોમ્પિયો બોલ્યા- હું એ
રાતને ક્યારેય નહીં ભૂલું
પોમ્પિયોએ લખ્યું- હું તે રાત ક્યારેય નહીં ભૂલી શકું. હું હનોઈમાં હતો. એક
તરફ ઉત્તર કોરિયાનાં પરમાણુ હથિયારોની ચર્ચા થઈ રહી હતી. બીજી તરફ ભારત અને
પાકિસ્તાન વર્ષોથી કાશ્મીર મુદ્દે પરમાણુ હુમલાની ધમકીઓ આપવા લાગ્યા હતા. જ્યારે
ભારતીય સમકક્ષે કહ્યું કે પાકિસ્તાન પરમાણુ હુમલા માટે તૈયાર છે અને જવાબી
કાર્યવાહી પણ કરશે, ત્યારે મેં તેમને કંઈ ન કરવા અને બધું પતાવવા માટે થોડો સમય આપવા કહ્યું.
મેં પાકિસ્તાનના આર્મી
ચીફ જનરલ કમર જાવેદ બાજવા સાથે વાત કરી. તેમણે કહ્યું કે ભારતીય મંત્રીએ મને
પરમાણુ હુમલાની જાણકારી આપી હતી. પરંતુ બાજવાએ કહ્યું કે આ સાચું નથી. પોમ્પિયોના
દાવા પર યુએસ વિદેશ મંત્રાલય તરફથી હાલ કોઈ નિવેદન આવ્યું નથી.
પુલવામા હુમલામાં 40 ભારતીય જવાનો શહીદ થયા
હતા
14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં CRPF જવાનોના કાફલા પર આતંકી હુમલો થયો હતો. જેમાં 40 જવાનો શહીદ થયા હતા.
આનો જવાબ આપતાં ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાન
કબજાના કાશ્મીર (POK)ના બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો. જેમાં જૈશના અડ્ડાઓ પર બોમ્બ ફેંકવામાં
આવ્યા હતા, જેમાં લગભગ 300 આતંકીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન પાકિસ્તાનીઓએ એરસ્ટ્રાઈકમાં ભારતીય વિમાનને
તોડી પાડીને અને એક ભારતીય પાઇલટને બંદી બનાવીને જવાબી કાર્યવાહી કરી હતી.